સુપ્રીમ કોર્ટે VVPAT વેરિફિકેશનની માંગણી અંગેની તમામ અરજીઓ આજે ફગાવી દીધી છે. બેલેટ પેપરની માંગણી અંગેની અરજી પણ ફગાવવામાં આવી છે. કોર્ટના આ ચુકાદાથી ઈવીએમ દ્વારા પડેલા મતની VVPAT ની સ્લિપ સાથે 100 ટકા મેળવવાની માંગણીને ઝટકો લાગ્યો છે. આ ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતિથી આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીનથી જ થશે. ઈવીએમ-VVPAT નું 200 ટકા મેચ કરવામાં આવશે નહીં. 45 દિવસ સુધી VVPAT ની સ્લિપ્સ સુરક્ષિત રહેશે. એટલે કે 45 દિવસ સુધી ડેટા સુરક્ષિત રહેશે. આ સ્લિપ્સ ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે. કોર્ટનો નિર્દેશ છે કે ચૂંટણી બાદ સિંબલ લોડિંગ યુનિટ્સને પણ સીલ કરવામાં આવે. એ પણ નિર્દેશ અપાયો છે કે ઉમેદવારો પાસે પરિણામોની જાહેરાત બાદ ટેક્નિક્લ ટીમ દ્વારા ઈવીએમના માઈક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની તપાસ કરાવવાનો વિકલ્પ રહેશે જેને ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર કરી શકાશે.
આ ચુકાદો આપતા જસ્ટિસ ખન્નાએ કહ્યું કે વીવીપેટ વેરિફિકેશનનો ખર્ચો ઉમેદવારોએ પોતે જ ઉઠાવવો પડશે. જો કોઈ સ્થિતિમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ કે ઈવીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચ્યું તો તેનો દંડ પણ ભરવો પડશે. આ દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે કોઈ સિસ્ટમ પર આંખ મીંચીને અવિશ્વાસ કરવાથી શંકા જ પેદા થાય છે. લોકતંત્રનો અર્થ જ વિશ્વાસ અને સૌહાર્દ બનાવવાનો છે.
અત્રે જણાવવાનું કે માર્ચ 2023માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 100 ટકા ઈવીએમ મતો અને વીવીપેટની સ્લિપ્સને મેચ કરવાની માંગણીને લઈને અરજી દાખલ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચુકાદો આપ્યો. હાલના સમયમાં વીવીપેટ વેરિફિકેશન હેઠળ લોકસભાક્ષેત્રની દરેક વિધાનસભા ક્ષેત્રના ફક્ત પાંચ મતદાન કેન્દ્રોના ઈવીએમ મતો અને વીવીપેટ સ્લિપ્સને મેચ કરાય છે.