ડીસામાં PM મોદીએ કોગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- ‘કોંગ્રેસ દલિત, SC-STનો હક છીનવવા માંગે છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું હતું કે મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી સભા છે. ગુજરાતે આપેલા સંસ્કાર આજે દિલ્હીમાં લેખે લાગ્યા છે. PM તો દિલ્હીમા હોય ગુજરાતમાં નરેન્દ્રભાઈ જ હોય છે.

 

તેમણે ગુજરાતના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યુ કે આજનો દિવસ નવા સંકલ્પ સાથેનો દિવસ છે. 2014માં દિલ્હીમાં મોકલીને દેશની સેવા કરવાનો અવસર આપ્યો હતો. 2014 પહેલા દેશમાં આતંકવાદના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશમાં ભ્રષ્ટાચારના સમાચાર જ મળતા હતા. 2014 પહેલા દેશ નિરાશામાં ડૂબેલો હતો. 2014 પહેલા દેશના યુવાનને ભવિષ્યની ચિંતા હતી. વડાપ્રધાને ફેક વીડિયોને લઇને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હિંમત હોય તો સામેથી વાર કરો.

 

કોંગ્રેસના આરોપ પર વડાપ્રધાન મોદીએ દેશને ગેરન્ટી આપી હતી. તેમણે કહ્યું કે અનામતમાં કોઇ ફેરફાર થશે નહીં. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી અનામતની રક્ષા થશે. કર્ણાટકમાં કોંગ્રેસે મુસ્લિમોનો OBCમાં સમાવેશ કર્યો છે. કોંગ્રેસ દલિત, SC-STનો હક છીનવવા માંગે છે. મોદી છે ત્યા સુધી ધર્મના આધારે અનામતનો ખેલ નહીં થાય. બંધારણના આધારે મળેલા અનામતમાં છેડછાડ થશે નહીં. અમારા સિવાય એકપણ પક્ષ 272 ઉમેદવારને લડાવી રહ્યો નથી.

FOLLOW US ON :
Share Our Post